લવિંગ વિન્સેન્ટ

લવિંગ વિન્સેન્ટ,

“ક્યારેક, મસ્યે, ક્યારેક તમે મને એટલા ગમો છો ને!”

વાન ઘોઘ માટે તેમના જીવનમાં માત્ર અને માત્ર એક જ વખત ઉષ્માસભર રીતે ઉચ્ચારાયેલ આ શબ્દો તેણે જે સ્ત્રીને પહેલી વખત ચાહી હતી તે અર્શલાના હતા.

વાન ઘોઘ (ગૉગ) ને વાંચ્યા ને ખૂબ ઘણો સમય થઈ ગયો છે. ત્રણેક વર્ષ જેટલો. પણ કાયમ તરોતાજા જ લાગે. આ પેહલા એક બુક ટોકમાં મેં તેમના જીવન અને કવનનો ચિતાર આપતા પુસ્તક ‘લસ્ટ ફોર લાઈફ’ વિશે વાત કરેલી પણ એમના વિશે કહેવું હંમેશા અધૂરું જ લાગે. એટલે લખ્યા વગર રહેવાયું નહીં. ‘સળગતા સૂરજમુખી’ એ વિનોદ મેઘાણીકૃત ભાવાનુવાદ છે. વિન્સેન્ટ વેન ઘોઘની ઓટોબાયોગ્રાફી.

વિન્સેન્ટ એક ડચ ચિત્રકાર હતો. (છે) તેના પિતા પાદરી હતા. વિન્સેન્ટ ને એક નાનો ભાઈ પણ ખરો.જે એની વાર્તાનો મુખ્ય હીરો છે. તેનો બાપ ઇચ્છતો હતો કે વિન્સેન્ટ પરિવાર નો મોટો પુત્ર પાદરી જ બને પણ વેન ગોગ કોઈ બીજા કામ માટે સર્જાયો હતો. તેને ક્યારેય ગોખેલા ભાષણો આપીને ધર્મગુરુ બનવું મંજુર નહોતું અને એટલે તેણે ઘર છોડી દીધું. એના જીવનમાં અર્શલા આવી. તેને અંતરના ઊંડાણથી ચાહી પણ એ છોકરીને તે નહોતો પસંદ. તેનુ ભગ્ન હૃદય ક્યાંક ઠલવાઇ જવાની ઝંખનામાં ડૂબતું તણાતું ચિત્રકળામાં પરોવાયું. એ પછી એણે ચિત્રો મૂકીને ફરી ઈશ્વર સંદેશ આપવાનું પસન્દ કર્યું. બોરીનાઝમાં કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરોને એ ઈશુનો સંદેશ સમજાવતો. પણ ત્યાં તેણે હાડપિંજર જેવા લોકોને જોયા. તેના કૃશ, ચુસાયેલ શરીર કોલસાની ઊંડી ખાણોમાંથી કઈ રીતે બહાર કાઢતાં હશે! એ જોઈને વિન્સેન્ટ વ્યથિત બની ગયો. પોતાની પાદરી તરીકેની નોકરી મૂકીને એ મજૂરોના કોલસા ઉલેચવા માંડ્યો. એણે ખાણોમાં કાળી બળતરામાં નગ્ન અવસ્થામાં કામ કરતી મેશ જેવી સ્ત્રીઓના ચિત્રો દોર્યા. એક રાતે ખાણ ધસી પડી અને એનો ગુનેગાર આ ભલો વિન્સેન્ટ છે એવું સાબિત થતા તેને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યો. એ કેટલાય દિવસો સુધી જમ્યા વગર પડી રહ્યો. તેને માટે આ આઘાત અસહ્ય હતો. તેનો ભાઈ થિયો વાન ઘોઘ તેને ત્યાંથી ઉગારીને ઘરે લઈ ગયો. એ ફરીથી કેઈ નામની તેની માસિયાઈ બહેનના પ્રેમમાં પડ્યો. પણ એમ કરવા જતાં એ ઉતરતી કક્ષાની માનસિકતા વાળો સાબિત થયો. ફરી પાછો એ ઘર છોડીને ભાગી ગયો. એ હેગ શહેરમાં આવીને વસ્યો. તેનું ચિત્રકામ આડે હાથે ઉપાડ્યું. એક પ્રોસ્ટિટ્યૂટ સ્ત્રીની દર્દનાક કહાની સાંભળીને એને પત્ની બનાવીને રાખી. પણ એ તેને છેતરીને ચાલી ગઈ. સખત નિષ્ફળતાઓથી એનું જીવન ઘેરાતું ચાલ્યું. તેને વાયના રોગ જેવી બીમારી થઈ. લોકોએ તેને પાગલ કહી દીધો. તેને અતિ પજવ્યો. એક દિવસ તેણે પોતાનો કાન કાપી લીધો. પણ છતાં એ સ્વસ્થ જ હતો. એણે પગલખાનમાંથી અત્યન્ત શાણપણ ભર્યા પત્રો લખ્યા છે. ચિત્રો પણ ચીતર્યા છે. ત્યાંથી એ તેના ભાઈ થિયોના ઘરે રહેવા જતો રહ્યો. થિયોની પત્નીને એ બોજ લાગે છે એવો તેને અણસાર આવ્યો અને પોતે ખેતરમાં ચિત્ર બનાવતા બનાવતા પડખામાં ગોળી ખાઈ લીધી. એક દિવસ બાદ તે મૃત્યુ પામ્યો. એના મૃત્યુની ક્ષણ પેહલા એ રખડુ, અણઘડ , આવરા, પાગલ અને નિષ્ફળ પુરુષ હતો પણ તેના મૃત્યુ બાદ એ મહાન ચિત્રકાર તરીકે પંકાયો. તેની આ સામાન્ય વાર્તા છે, પણ એ વાર્તા ખાસ છે કેમકે એ કળાકાર હતો. એ કળાકાર તરીકે જીવ્યો હતો. ભલે બીજા કોઈએ એમ નહોતું માન્યું પણ એ કલાને ખાતર જ જીવ્યો હતો. તે એક ચિત્રકાર હોવાની ભારોભાર એક ઉમદા તત્વચિંતક હતો. લેખક, સમાજસેવક, સર્જક અને પ્રેમી. આટલું ઓછું નથી! તેમણે કુલ 900 જેટલા ચિત્રો સર્જ્યા હતા જેમાંથી તેના જીવતા માત્ર એક જ ચિત્ર એ વેંચી શક્યો હતો. અને 600 જેટલા તેના ભાઈ થિયો ને લખેલા પત્રો. તેના દરેક કારમાં કાળે તેનો ભાઈ થિયો તેના પડખે ઉભો રહ્યો હતો. લક્ષમણ સરીખો. એ માણસ જીવ્યો ત્યાં સુધીમાં એક રૂપિયો કમાઈ નહોતો શક્યો પણ આજે તેના એક એક ચિત્રો ઉપર સેમિનારો યોજીને વિવેચકો લાખો કમાય છે, તેના ચિત્રો હજારો ડોલરમાં વેંચાય છે, એના ફેન ફોલોવર તેના ક્વોટલખી લખીને હજારો કમાય છે. 65000 નકલો બનાવીને વેંચાય છે. પેરિસમાં તેની આખી ગેલેરી છે. ચિત્રો જ નહીં તેના એકે એક પત્રને સંઘરી રાખવા માટે આખું મ્યુઝિયમ ખડું કરી દીધું છે. તેના જીવન વિશે પુસ્તકો લખીને લેખકો પણ કમાઈને ધરાણા. ફિલ્મો બનાવીને એક્ટરોએ એવોર્ડ પણ મેળવ્યા. પણ એને પાગલ તરીકે લોકોએ નવાજીને તેની સખત અવહેલના કરી હતી. 28 વર્ષની ઉંમરે તેને ચિતરવાનું શરૂ કરેલું તે 38 એ મૃત્યુ પામ્યો. વિન્સેન્ટ એક ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકાર હતો. નવો ચીલો પાડનાર. તેના ચિત્રોને તેણે અનોખા રંગોથી સર્જેલા. તેના રંગ સંયોજનો થકી ચિત્રોમાં ભાવ ઉપસાવવાની આવડત અજોડ હતી. પેરિસમાં એ હતો ત્યારે તેના સાથી ચિત્રકારોને એ લાંબી ચર્ચાઓ કરીને રંગ સંયોજનો અને તેના ઊંડાણ વિશે એ સમજાવતો. પેરિસના રેસ્ટોરાંમાં એ કલાકો વક્તવ્યો આપીને વિતાવતો. કળા પ્રત્યેની તેની ગહન ફિલોસોફી સરાહનીય છે. એ પોતે સમજતો હતો કે દુનિયાને આવી સૂફીયાણી વાતોની જરૂર છે. એ કહેતો કે કળા અને સાહિત્ય જ લોકોને જીવવા જેવા રાખે છે. તેનું 'સ્ટેરિ નાઈટ' ચિત્ર જગવિખ્યાત છે. કદાચ તેના ભાવો કળી શકાય એમ સમજીને લોકો એની નકલો ઘરમાં લગાવે છે. પણ તેના મનોજગતને પામવું એટલું સહેલું નહોતું. એક સાયપ્રસનું વૃક્ષ આકાશને ચૂમે છે અને તેની પશ્ચાદભૂમાં અમુક વલયો રચાય છે એનો અર્થ સમજાવતા યૂ-ટ્યુબ પણ ઘણા વિડિઓઝ છે. અલબત્ત અટકળો છે. અને એ ચિત્ર તેણે પગલખાનમાં બારી પાસે બેસીને બનાવેલું. 'લસ્ટ ફોર લાઈફ' પુસ્તક લખનાર અરવિંગ સ્ટોન આ પુસ્તક લખીને પ્રકાશક માટે ઘર ઘર ભટકેલા પણ કોઈ તેનો હાથ જાલવા તૈયાર નહોતું. પણ જિન નામની એક સ્ત્રી પ્રકાશકે તે પુસ્તક પ્રકાશિત કરવા માટે વાંચવા માંગેલું અને આ પુસ્તક તેને એટલું ગમી ગયેલું કે એ સ્ત્રી લેખકને પરણી ગઈ. (વિન્સેન્ટ કેટલો ખુશ થયો હશે! કેમકે તેણે ત્રણ ત્રણ સ્ત્રીઓને ચાહી છતાં તેને એકનો પણ પ્રેમ નહોતો મળ્યો.) નંદીગ્રામમાંથી આ પુસ્તક વાંચ્યા બાદ મકરંદ દવેએ પણ એક લાંબી લચક કવિતા લખી છે.

વિન્સેન્ટે પગલખાનમાંથી લખેલો એક અદભુત પત્ર પણ પુસ્તકમાં સામેલ છે.

………………. વ્હાલી માં,

… તને આપેલું વચન આજે પાળી રહ્યો છું. થોડા લેન્ડસ્કેપ ચિત્રો, એક મારુ પોતાનું નાનકડું પોટ્રેઇટ અને એક ઘરની અંદરનું દ્રશ્ય મોકલવું છું, જોકે મને ભય છે કે કે આ ચિત્રો જોઇને તને નિરાશા થશે અને એમાંનાં કેટલાંક અંશ તને નીરસ અને કદાચ કુરૂપ પણ લાગશે. આ ચિત્રોનું શુ કરવું તે તું અને વિલ (બહેન)મળીને નક્કી કરજો. તમને મન થાય તો આ ચિત્રો બીજી બહેનને પણ આપજો. હું તો એમ ઇચ્છું છું કે એ બધા એક જ જગ્યાએ સચવાય કારણ કે એમનું મૂલ્ય એક સમૂહ તરીકે એક દિવસ ઘણું વધારે અંકાશે. અલબત્ત, તારે ઘેર એ બધા સાચવી શકાય એટલી મોકળાશ નથી તે હું જાણું સાધુ એટલે એમ સુચવું કે હમણાં એ બધા તારી પાસે જ રહેવા દે; એમાંથી તને ક્યાં ચિત્રો ગમે છે એ તું ચિત્રો થોડો સમય જોયા કરવાથી વધારે સારી રીતે નક્કી કરી શકીશ…થોડાં વધારે ચિત્રો આ સાથે જ મોકલી શક્યો હોત તો સારું લાગત પણ એ હવે આવતા વર્ષ માટે બાકી રાખું છું. મેં મોકલેલા મારા પોટ્રેઇટને જોઈને તને થશે કે પેરિસ, લંડન અને એવા મહાન નગરોમાં વર્ષો વિતાવવા છતાં હું લગભગ ગામડિયો ખેડૂત જેવો જ દેખાઉં છું. મને ક્યારેક ક્યારેક એમ પણ થાય છે કે વિચારે અને ભાવે-પ્રતિભાવે હું ખેડૂત જેવો જ છું. ફેર ફ્ક્ત એટલો જ છે કે ખેડૂતો આ દુનિયા માટે મારા કરતાં વધારે ઉપયોગી છે. માનવીની ભૌતિક જરૂરિયાતો સંતોષાય પકચ્છી જ એને પુસ્તકો, ચિત્રો વગેરેમાં રસ જાગૃત થાય છે અને એની જરૂર જણાવા લાગે છે. ખેડૂતો ખેતરોમાં જેટલી તનતોડ મહેનત મજૂરી કરે છે એટલો જ સખત પરિશ્રમ હું મારા ચિત્રો ચીતરવા પાછળ કરું છું એ સાચું, પકન મારી પોતાની મૂલવણી અનુસાર એ સ્પષ્ટ છે કે ઉલયોગીતાની દ્રષ્ટિએ ખેડૂતો મારાથી ઘણી ઉચ્ચ કક્ષાએ છે.

એ તો જાણે ઠીક પણ મારા આ વ્યવસાયમાં બધું સીધુ નથી ઉતર્યું.સાચું કહું તો હંમેશા એવું જ થતું આવ્યું છે…

પીંછી ચલાવવાનું શીખવાની મહેનત કરનારને પછી ચિત્રકામમાં કોઈ અંતરાય નથી. બીજાની સરખામણીમાં તો હું ખુશનસીબમાંનો એક ગણાવ. આ વ્યવસાય અપનાવ્યા પછી નિષ્ફળતાને કારણે ચિત્રકામ પડતું મૂકવું પડ્યું હોય એવાના શા હાલ થાય હશે એનો વિચાર કરીએ. એવા લોકો ઓછા નથી… ચિત્રકાર બની શકવા અને રહી શકવા બાળક હું ઘણો ભાગ્યશાળી ગણાવ. બિચારા બીજા!

કોઈએ ભ્રમણામાં ના રેહવું જોઈએ , તને સાવચેત કરવા માટે લખું છું…

આ પગલખાનાના એક દર્દીનું પોટ્રેઇટ હમણાં હું ચીતરી રહ્યો છું. આ જીવન વિચિત્ર તો લાગે પણ થોડો સમય પાગલો સાથે વિતાવ્યા પછી ટેવાઈ જવાય છે અને પછી એમને પાગલ તરીકે જોવાનું રહેતું નથી. તને ચુંબનો કરી રહેલો તારો.... વ્હાલસોયો વિન્સેન્ટ * * *

રણવીર સિંહે તાજેતરમાં જ તેના સેલ્ફ પોટ્રેઇટ અંદાજમાં પોતાનો ફોટો શેર કર્યો હતો અને તેમાં વાન ઘોઘનું એક ક્વોટ મૂક્યું હતું કે….

જેમ જેમ આપણે જીવનમાં આગળ વધીએ છીએ તેમ જીવન વધુને વધુ મુશ્કેલ બને છે, પરંતુ મુશ્કેલીઓ સામે લડવામાં હૃદયની અંતર્ગત શક્તિનો વિકાસ થાય છે.

વિન્સેન્ટ વેન ઘોઘ.

One thought on “લવિંગ વિન્સેન્ટ

Leave a comment